પાલનપુર : બનાસડેરીએ દૂધ લેવાનું બંધ કરતા પશુપાલકોએ દૂધની નદીઓ વહાવી

235

પાલનપુર : કોરોના વાયરસને પગલે તમામ લોકો પરેશાન છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસ ફેલાયો છે.જિલ્લા કોરોના વાયરસના 67 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે બે લોકોનાં મોત થયા છે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસ ફેલાયો છે.જેને અનુસંધાને બનાસડેરીએ કોરોના અસરગ્રસ્ત હોય તેવા 45 ગામોનું દૂધ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયને કારણે ફક્ત પશુપાલન પર નભતા લોકોની હાલત કફોડી બની છે. જે બાદમાં પશુપાલકોને દૂધ ઢોળી દેવાની ફરજ પડી છે.

પાલનપુરના લક્ષ્‍મીપુરા ડેરીમાં આશરે 200 જેટલા પશુપાલકોએ આજે પોતાનું દૂધ ગટરમાં ઢોળી દીધું હતું. અમુક લોકોએ દૂધ પ્રાણીઓને પીવડાવી દીધું હતું. દૂધની ડેરી જ બંધ થતાં હજારો લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.આ લોકો માટે સૌથી મોટો પ્રશ્ન દૂધનું શું કરવું તે છે.કારણ કે જિલ્લામાં પશુપાલન પર નભતા લોકોની સંખ્યા ખૂબ વધારે છે.આ જ માટે તેઓ દૂધને કૂતરાઓ કે પ્રાણીઓને પીવડાવી રહ્યા છે કાં તો તેને ગટરમાં વહાવી રહ્યા છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો ફેલાવો થતાં આરોગ્ય તંત્ર સક્રિય થયું છે અને અનેક ગામોને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.બીજી તરફ બનાસડેરીએ કોરોનાના સંભવિત ખતરનાને ધ્યાનમાં રાખીને આ ગામોમાંથી દૂધ જ લેવાનું બંધ કરી દીધું છે.

નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના માથે જાણા માઠી બેઠી હોય તેવા બનાવો સતત બની રહ્યા છે. ગત વર્ષે અહીં તીડનું આક્રમણ થયું હતું, ત્યાર બાદ ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.હવે કોરોનાને પગલે પશુપાલકો અને ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવ્યો છે.આટલું ઓછું હોય તેમ જિલ્લા પર ફરી એકવાર તીડનું જોખમ તોળાઈ રહ્યું છે.

Share Now