સુરતમાં કાપડ અને હીરા માર્કેટ શનિ-રવિ બે દિવસ સ્વયંભૂ બંધ ફોસ્ટા અને ડાયમંડ બ્રોકર એસો.નો સયુંકત નિર્ણય

59

– વધતા જતા કેસને પગલે બે દિવસ શહેરના મુખ્ય ધંધા બંધ રહેશે

સુરત : સુરતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવારના રોજ એમ બે દીવસ મહિધરપુરા,મીનીબજાર,ચોકસી બજાર,સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.ફોસ્ટાએ પણ નિર્ણય લીધો છે કે, સંક્રમણને જોતા બે દિવસ સ્વયંભૂ માર્કેટ બંધ રાખવામાં આવે.

સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, વર્તમાન સમયની વિકટ સ્થિતિ જોતા કોરોનાની ચેઈન તોડવી ખુબ જ જરૂરી છે.જેના માટે સોસિયલ ડિસ્ટન્સ જાળવવા લોકડાઉન જ એક આખરી ઉપાય છે.બીજી તરફ દલાલભાઈઓ અને હીરા બજારમાં કાર્યરત હીરાના વેપારીઓની રોજીરોટીનો પણ સવાલ છે.જેથી ઉપરોક્ત બંને બાબતોને ધ્યાનમાં રાખીને અત્યંત બેલેન્સ જાળવી શનિ રવિ એમ બે દીવસ માટે અમોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

ફોસ્ટા દ્વારા આજે પત્ર જાહેર કરવામાં આવ્યો છે.જે અંતર્ગત વર્તમાન પરિસ્થિતિને જોતા શનિવાર અને રવિવારના રોજ તમામ કાપડ માર્કેટ બંધ રાખવામાં આવે.સ્વૈચ્છિક લોકડાઉન અંતર્ગત ફેલાતા કોરોનાને અટકાવવાના ભાગ રૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.જેથી કોરોનાની ચેઈન તોડી શકાય.બે દિવસના આ સ્વૈચ્છિક લોકડાઉનના પગલે કોરોના સંક્રમણ અટકાવવામાં મદદ મળશે એવો અમને વિશ્વાસ બન્ને ધંધાના અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યાં છે.કાપડ અને હીરા ઉદ્યોગમાં બન્ને વ્યવસાય સાથે સંકળાયેલા દલાલભાઈઓ અને કાપડના દુકાનદારો સાથ સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

Share Now