સુરત : કોરોનાના 200 દર્દીના લેવાયા નમૂના,પરીક્ષણમાં મળ્યા ઘાતક વાયરસ

100

સુરત : કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. વાયરસના બદલાતા સ્ટ્રેનના કારણે પણ તે ઝડપથી પ્રસરી રહ્યો છે અને લોકોને ભરડામાં લઈ રહ્યો છે.પ્રથમ લહેર કરતા કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક સાબિત થઈ છે તેની પાછળ પણ આ જ કારણ જવાબદાર છે. કોરોનામાં બદલાતા સ્ટ્રેન અંગે લેબોરેટરીમાં સંશોધન થઈ રહ્યા છે.ત્યારે સુરતમાંથી પણ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી સેમ્પલો પુનાની એનઆઇવી લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે, જેમાં અમુક સેમ્પલના રિપોર્ટમાં ઇન્ડિયન ડબલ મ્યુટેન્ટ હોવાનું સામે આવ્યું છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનામાં 75 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 125 સેમ્પલો મોકલવામાં આવ્યા હતા.જેમાં યુકે વેરિયન્ટ, સાઉથ આફ્રિકન વેરિયન્ટ અને ઇન્ડિયન ડબલ મ્યુટેન્ટના વાયરસ મળી આવ્યા છે.કોરોના વાયરસ તેના જેવો જ બીજો વેરિયન્ટ બનાવે છે. એટલે કે તે બીજું રૂપ ધારણ કરી લે છે. કોઈક વેરિયન્ટ વધારે ચેપ લગાવી શકે છે,કોઈક વેરિયન્ટની ગંભીર અસર પણ થઈ શકે છે.

બીજી વેવ જે ઝડપથી ઘાતક બની તેની પાછળ યુકે વેરિયન્ટ અને સાઉથ આફ્રિકન વેરિયન્ટ હોવાનું જવાબદાર મનાય છે. હાલ 18 વર્ષથી ઉપરની વય ધરાવતા તમામ માટે વેકસિનનો વિકલ્પ છે પણ હજી વેરિયન્ટ બદલવાની સંભાવનાને જોતા ત્રીજી વેવ જો આવે તો તેમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની શકયતા છે.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે પાલિકા નવા સ્ટ્રેનને શોધવા માટે એક ખાસ સેલની રચના કરશે.જેમાં સિવિલ હોસ્પિટલ,સ્મીમેર હોસ્પિટલ,ખાનગી લેબોરેટરી અને યુનિવર્સીટીના માઇક્રોબાયોલોજીસ્ટની નિમણુંક કરાશે અને કોરોના સ્ટ્રેઇન સંદર્ભે ચર્ચા કરશે.

Share Now