મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું

20

ગાંધીનગર : રથયાત્રાના પ્રારંભ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ પવિત્ર પહિંદ વિધિ કરીને દાયકાઓ જૂની પરંપરાને જીવંત રાખી હતી.બુધવારે તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેના કારણે મુખ્યમંત્રી હોમ કોરેન્ટાઈન થયા હતાં.પરિણામે રથયાત્રાના પ્રારંભ પહિંદ વિધિ કોણ કરશે? તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો.દરમ્યાનમાં,૩૦મી જૂન,ગુરુવારે ફરી વાર મુખ્યમંત્રીનો ટેસ્ટ કરાવાયો હતો.જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.આમ પણ તેમને કોરોનાના માત્ર હળવા લક્ષણો જ હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા એટલે,મુખ્યમંત્રી તરીકે તેમણે પહિંદ વિધિ કરાવી હતી. જેમાં તેમણે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ પરંપરાને મુખ્યમંત્રીએ આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે.તેઓ અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું હતું કે,જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે.આ અવસરે મહંત દિલિપદાસજી,ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી,ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા,અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર,ડેપ્યુટી મેયર મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ-શ્રદ્ધાળુઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share Now