વડોદરા : BJP કોર્પોરેટરના બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા, ડો. વિજય શાહની ટ્વીટ અપીલનું પોલીસ પાલન કરશે ?

262

– મહિલા કોર્પોરેટર ગાર્ગીબેન દવેએ બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સનું કર્યું ઉલ્લંઘન
– અગાઉ ભાજપ શહેર મહામંત્રી સામે બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ પોલીસ કાર્યવાહી થઇ હતી
– કોર્પોરેટર સામે પોલીસ કાર્યવાહી થશે કે કેમ તે અંગે લોકચર્ચા જોવા મળી રહી છે

વડોદરા : વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર ગાર્ગીબેન દવેએ ગઈકાલે રાત્રે જન્મદિવસની ઉજવણી કરી હતી.જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના નિયમનો ભંગ થયો હતો.આ અંગેના ફોટા વાઇરલ થતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. અગાઉ ભાજપના શહેર મહામંત્રી સુનિલ સોલંકી દ્વારા જન્મદિવસની ઉજવણીને પગલે વિવાદ સર્જાયો હતો.અને બાદમાં તેમની બર્થ ડે કેક કાપવા સમયે હાજર રહેલા લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. સુનિલ સોલંકી પોતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.જો કે પોલીસે તેમને ગણતરીના કલાકોમા.

તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકી બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી હતી.જેમાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા હતા. જે અંગે બાદમાં પોલીસ ફરિયાદ થઇ હતી.ત્યારબાદ વડોદરા શહેર પ્રમુખ ડો. વિજય શાહે પોલીસ વિભાગ દ્વારા ખાસ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
ગતરોજ,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર ગાર્ગીબેન દવેએ પોતાના જન્મદિવસની ઉજવણી પણ કાર્યકરોની સાથે મળીને કરી હતી.જેમાં ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના નિયમનો ભંગ કર્યો હતો.જે અંગે ના ફોટો વાયરલ થતાં ફરી એકવાર રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસ દ્વારા ભાજપના મહામંત્રી સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીનું કોર્પોરેટરના કિસ્સામાં અનુસરણ કરવામાં આવશે,કે પછી તેઓને છોડી મુકવામાં આવશે તેને લઇે અનેક અનુમાન લગાડવામાં આવી રહ્યા છે.ડો વિજય શાહ દ્વારા ટ્વીટ કરીને કરવામાં આવેલી અપીલ પ્રમાણે કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભાજપના હોદ્દેદારો દ્વારા અવાર નવાર કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવે છે.તેમની સામે જવલ્લેજ પોલીસ કાર્યવાહી થતી હોય છે.જ્યારે સામાન્ય માનવીનું માસ્ક સહેજ પણ નીચે હોય તો તેને માસ્કનો દંડ ફટકારી દેવામાં આવે છે.શું શહેર પોલીસ 4 ડિસેમ્બરના રોજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા ટ્વીટ મારફતે કરવામાં આવેલી અપીલને અનુસરશે કે નહિ તે આવનાર સમયમાં સ્પષ્ટ થશે.

Share Now