સાંસદો અને ધારાસભ્યોનું અપમાન કરવું નહીં, ઓફિસની બહાર બેસાડી ન રાખવા

39

– મંત્રીઓએ સોમ અને મંગળવારે ઓફિસમાં હાજર રહેવું : સીએમ
– સચિવાલયમાં કામ લઈને આવતા મુલાકાતી તેમજ જનતાના પ્રતિનિધિઓને વારંવાર ધક્કા ખાવા પડતા હતા

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય કરીને એવી સૂચના આપી છે કે રાજ્ય કેબિનેટના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ સોમવાર અને મંગળવારે તેમની ઓફિસ છોડવાની નથી.જાહેર જનતા અને પ્રજાના પ્રતિનિધિઓ એવા સંસદસભ્યો અને ધારાસભ્યોને મળવાનું રહેશે.તેમણે પ્રજાના પ્રતિનિધિઓને અપમાન નહીં કરવા તેમજ તેમને બહાર બેસાડી નહીં રાખવા પણ આદેશ કર્યો છે.

મુખ્યમંત્રીએ એક નિર્ણય લીધો છે અને મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓને કેબિનેટમાં જ સૂચના આપવામાં આવી છે કે તેમણે સોમવાર અને મંગળવારે ઓફિસમાં અચૂક હાજર રહેવું. આ બન્નેએ સામાન્ય નાગરિકોને પણ કાર્યાલયમાં મળવાનું રહેશે.

રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સપ્તાહના આ બે દિવસો દરમિયાન કોઈ બેઠકો,મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે.રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો,રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.આ નિર્ણયનો ત્વરીત અમલ કરવાનો રહેશે.

સામાન્ય રીતે એવી ફરિયાદ મળતી હતી કે મંત્રીઓ અને અધિકારીઓ મિટીંગમાં વ્યસ્ત હોવાથી સચિવાલયમાં કામ લઇને આવનારા મુલાકાતી તેમજ જનતાના પ્રતિનિધિને વારંવાર ધક્કા ખાવા પડતા હતા.ખરાબ અનુભવના કારણે નવી સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવી પ્રવક્તા મંત્રીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જે અધિકારી સરકારના આદેશનું પાલન નહીં કરે તેની સામે પગલાં લેવાનું પણ વિચારણામાં છે.

Share Now