દશેરાના પર્વ પર કેમ ખાવામાં આવે છે ફાફડા-જલેબી? જાણો આ પાછળની રસપ્રદ કહાની

48

દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ…ભગવાન રામે લંકેશનો વધ કર્યો અને ત્યારબાદ વિજ્યાદશમી પર્વની ઉજવણીની શરૂઆત થઈ.ગુજરાતીઓની જો બીજી ઓળખ ફાફડા-જલેબી છે તેમ કહીએ તો જરાય અતિશ્યોશક્તિ ના કહેવાય.આમ તો આખુ વર્ષ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે પરંતુ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનું મહત્વ વિશેષ રહે છે.

દશેરામાં ફાફડા-જલેબી ખાવાનો અનેરો ઉત્સાહ

નવરાત્રિના છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે અને ભલે રાત્રે મોડે સુધી ગરબા ગાયા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે.વહેલી સવારથી જ ગુજરાતીઓ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે.તાજા ફાફડા,તીખું તમતમતું પપૈયાનું છીણ,સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે.ત્યારે દશેરામાં જ ફાફડા-જલેબી ખાવાનો ક્રેઝ કેમ છે? અહીં જાણીએ કે કેમ દશેરાના દિવસે જલેબી-ફાફડા ખાવાની કેમ વર્ષોથી પરંપરા છે.

આ લોકવાયકા છે દશેરામાં ફાફડા-જલેબી ખાવાની

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી.રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી.જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે,જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી.ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે,વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા.આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.

આ પણ છે માન્યતા

જલેબી સાથે ફાફડા ખાવાના બીજા પણ કારણ છે.કહેવાય છે કે હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ જ ભાવતી. જલેબી સાથે જ્યારે ફરસાણ ખાવાનુ શરૂ થયું ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયુ. અન્ય માન્યતા એવી છે કે નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે.ઉપવાસ બાદ ચણાના લોટની વાનગીથી જ પારણા થવા જોઈએ.એટલે પણ કહી શકાય છે કે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ.

જલેબી ખાવાનું વૈજ્ઞાનિક કારણ

હેલ્થ એક્સપર્ટના મતે સપ્ટેમ્બર-ઓકટોબરમાં બે ઋતુ ભેગી થાય છે.આ સમયે હવામાનમાં ફેરફાર થતો હોય છે.ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા રહેતી હોય છે.બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેન થાય છે.ગરમાગર જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે.પરિણામે માઈગ્રેન થતું નથી તેથી દશેરામાં જલેબી ખાવામાં આવે છે.નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવતા હોવાથી શરીરમાં સુગરનું લેવલ ઘટી જાય છે.જલેબી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.દૂધ અને જલેબી સાથે ખાવાથી બ્લ્ડ સુગર નિયંત્રિત રહે છે.તેથી ફાફડા જલેબી ખાવા યોગ્ય રહે છે.આ રીતે એક દિવસ દશેરાના દિવસે ફાફડા-જલેબી સાથે ખાવાથી માનસિક ખુશી મળી રહે છે.જો આ દિવસે વધાર ફાફડા-જલેબી વધારે ખવાઈ જાય તો બીજા દિવસે ઓછી કેલેરીવાળો ખોરાક ખાવો, પછી કસરત કરો જેથી બોડીમાં કેલેરી જળવાઈ રહે છે.

Share Now