ઢોર નિયંત્રણ કાયદા સામે વિરોધમાં માલધારી સમાજ, અમદાવાદમાં વિશાળ શક્તિ પ્રદર્શન

53

રાજ્ય સરકાર સામે રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે ખૂબ ગરમાઈ રહ્યો છે.હાઈકોર્ટની ટકોર કર્યા બાદ સરકારે રખડતા ઢોરને પકડવા કડક કાર્યવાહી હાથ ધરી હતી.જેની સામે માલધારી સમાજે પણ એક વેદના રેલીના આયોજન દ્વારા તેમને કયા પ્રકારની મુશ્કેલીઓ અનુભવવી પડે છે તે વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો હતો.જોકે હવે આ અંગે રાજકારણ વધારે ગરમાઈ રહ્યું છે.

અમદાવાદમાં માલધારી સમાજે સંમેલનના નામે સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યું છે.આ સંમેલનમાં રાજ્યભરમાંથી માલધારી સમાજના સાધુ-સંતો અને ભુવાઓ હાજર રહ્યા છે.માલધારી સમાજ દ્વારા ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે, ગૌચરોની જમીન પરત કરવામાં આવે,આ ઉપરાંત ઢોરવાડા માલધારીઓના ઘર નજીક બનાવી આપવામાં આવે તેવી માગણીઓ મામલે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંમેલનમાં માલધારી સમાજના હજારો લોકો એકઠા થયા. MLA રઘુ દેસાઈ,લાખા ભરવાડ,માલધારી સમાજના ભુવાજીઓ,પૂર્વ અધિકારીઓ હાજર રહ્યા છે.આ બેઠકમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે.માલધારી સમાજે ઉકેલ નહીં આવે તો વિધાનસભા સત્ર સમયે વિધાનસભા ઘેરવાની ચીમકી આપી છે.સૌરાષ્ટ્ર-કચ્છથી પણ માલધારી સમાજના સાધુ-સંતો આ સંમેલનમાં પહોંચ્યા છે.

માલધારી સમાજે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે.તેમની એવી ફરિયાદ છે કે, સરકાર ગાયોના મામલે માત્ર વાતો જ કરે છે,કોઈ સહાય નથી કરતી.લમ્પી વાયરસ માટે પણ સરકારે રૂ. 500 કરોડના પેકેજની જાહેરાતો કરી હતી પરંતુ હજુ સુધી એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો.ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોર હાજર રહ્યા છે.ઠાકોર સમાજ વતી માલધારી સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.રાજકોટ માલધારી સમાજના આગેવાન મનીષભાઈ નાગોરે જણાવ્યું કે, આ લડત માટે રબારી,ભરવાડ,ગઢવી અને આહીર એમ ચારેય સમાજે એક થવું પડશે.જો આ ચારેય સમાજ એક થયો તો આવનારી ચૂંટણીમાં મુખ્યમંત્રી આપણા હશે.

Share Now